Sarangpur Hanuman Jayanti 2025: સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ-2025ને શુક્રવાર-શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી શ્રીવિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ હતી. આજે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. પછી શણગાર આરતી કરવામાં આવી હતી જેમાં પણ લાખો ભક્તો દાદાની આરતીનો અનેરો લાહ્વો લીધો હતો. આ દરમિયાન હનુમાનજીએ સુવર્ણ વાઘામાં ભક્તોને દર્શન આપ્યા હતા. મહત્વનું છે કે હનુમાન જયંતીના દિવસે સાળંગપુર હનુમાનજી મંદિરે કષ્ટભંજન દેવ દાદાના દર્શને 7થી 10 લાખ ભક્તો ઉમટ્યા હતા.
VIDEO:
11મીએ પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી
હનુમાન જયંતિના પાવન પ્રસંગે તારીખ 11મીએ સવારે 7.30 કલાકે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. બપોરે 4 કલાકે કળશ યાત્રા યોજાઈ હતી. જેમાં 4 હાથીની સવારી ઉપર ઠાકોરજી બિરાજમાન થયા હતા. હજારો બહેનો ભક્તો દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કર્યું હતું. 251 પુરૂષ-મહિલા ભક્તો સાફા ધારણ કરીને દાદાને રાજી કર્યા હતા. 108 બાળકો દાદાના વિજયી ધ્વજને લહેરાવી હતી. આ તકે આફ્રિકન સીદી ડાન્સ જબરદસ્ત આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત ડી. જે. નાસિક ઢોલ, બેન્ડવાજા વગેરે સંગીતની ટીમો ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ તકે 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટો સંતો દ્વારા દર્શનાર્થીઓને વધાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:
11મીએ કિંગ ઓફ સાળંગપુર ખાતે સમૂહ આરતી, આતશબાજી અને લાઇવ કોન્સર્ટનું આયોજન થયું
11 એપ્રિલ શુક્રવારે રાત્રે સાંજે 7 કલાકે મહાસંધ્યા આરતી યોજાયો હતો. જેમાં હજારો દિવડાઓ દ્વારા સામુહિક કષ્ટભંજનદેવની સંતો-ભક્તો દ્વારા સામુહિક આરતી કરવામાં રાત્રે 9.30 કલાકે કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી યોજાઈ હતી. જેમાં હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થઇ હતી અને ઐતિહાસિક આતશબાજીથી દાદાનું સ્વાગત કર્યું હતું. રાત્રે 9 કલાકે ખ્યાતનામ કલાકાર જીગરદાન ગઢવી દ્વારા ડાન્સ વીથ ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે અને કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લાઈવ કોન્સર્ટ યોજાયો હતો.
સમૂહ મારુતિ યજ્ઞમાં 1 હજાર ભક્તો પાટલે બેસવાનો લાભ લીધો હતો
આ દરમ્યાનમાં સવારે 7 વાગ્યે સમુહ મારૂતી યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. 12 તારીખે એટલે કે, હનુમાન જયંતીના દિવસે દાદાના દરબારમાં સમૂહ મારુતી યજ્ઞ યોજાયો હતો. જેમાં વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી દ્વારા બપોરે ૧૨:૦૦ કલાકે યજ્ઞમાં શ્રીફળ હોમી પૂર્ણાહુતી કરવામાં આવી હતી. સંતો અને 1 હજારથી વધુ હરિભક્તો યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો. દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવ્યો હતો. મંદિરની યજ્ઞશાળામાં શ્રી હનુમત્ બીજમંત્ર અનુષ્ઠાન,વેદ અનુષ્ઠાન,પંચમુખી સમૂહ મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
શનિવારના રોજ (ચૈત્ર સુદ પૂનમ) 12મીએ સમૂહ મહા સંધ્યા આરતી અને અન્નકૂટ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું.તારીખ 12ને શનિવારે સવારે 5 કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજીથી કષ્ટભંજનદેવનું સ્વાગત કરાયું હતું. 7 કલાકે કષ્ટભંજનદેવ દાદા સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપ્યાં હતાં. સવારે 7.30 કલાકે 51,000 બલૂનડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું હતું. 250 કિલો કેકનું કટીંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
આજે બપોરે 11:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય છપ્પનભોગ અન્નકૂટ આરતી વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી દ્વારા કરવામાં આવી હતી અને દાદાના દર્શને આવતા તમામ ભક્તો માટે 10 કલાકે મહાપ્રસાદનો પ્રારંભ થયો હતો.
3000થી વધુ સ્વયંસેવકો રહેશે ખડેપગે રહ્યા હતા.
સાળંગપુરમાં આ હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઈક્રો મેનેજમેન્ટ માટે 3000 હજારથી વધુ સવ્યંસેવકો ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ-અલગ વિભાગોમાં ખડેપગે રહ્યા હતા. આ ઉપરાંત અહીં આવતા ભક્તો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા બરવાળાથી આવતાં અને બોટાદ બાજુથી આવતા ભક્તો માટે કરવામાં આવી હતી. જેમાં અલગ-અલગ પાર્કિંગમાં એક સાથે 10 હજારથી વધુ વ્હીકલ આરામથી પાર્ક કરાયા હતા.
શ્રી હનુમાન જયંતી ઉત્સવ પ્રસંગે જીવનમાંથી આનંદના અને દિવ્યતાના માર્ગ તરફ જવા મંદિરના પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી(અથાણાવાળા) તથા સંતમંડળ દ્વારા સમગ્ર મહોત્સવનું સંચાલન કરવામાં આવ્યું હતું.
ધાર્મિક રિપોર્ટ : સંસ્કાર સોજીત્રા
આ પણ વાંચો:
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube