Junagadh News: જૂનાગઢમાં આવતીકાલે સવારે સ્વયંભુ પ્રગટ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં શંખનાદ, ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે, મહાવદ નોમથી મહાશિવરાત્રિ સુધી યોજાનાર ૪ દિવસીય મહાશિવરાત્રિ મેળાના પ્રારંભે સાધુ-સંતોની ઉપસ્થિતમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન કરવામાં આવશે. ત્યાર બાદ શંખનાદ કરીને મેળાનો શુભારંભ કરવામાં આવશે.
ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવિધ સંગમ સાથે શિવઆરાધનામાં લીન થવાના ગિરનાર મહાશિવરાત્રિ મેળાનો આજથી આરંભ થયો છે. દેશભરમાંથી આવેલા નાગાસાધુઓએ ગિરી તળેટીમાં આવીને પોતાના નિશ્ચિત સ્થાનો પર ધૂણી ધખાવી શિવ આરાધના ઉપાસનામાં લીન જોવા મળી રહ્યા છે. આ સાથે જ બમ બમ બોલે, જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગિરી તળેટી ગુંજી ઉઠી છે.
આજે સવારે 9 વાગ્યે ભવનાથ મંદિર ખાતે ગિરનાર ક્ષેત્રના તમામ મહામંડલેશ્વર, વરિષ્ઠ સાધુ-સંતો, મહંતો સહિતનાઓની ઉપસ્થિતિમાં હર હર મહાદેવના જયઘોષ સાથે 80 ફૂટ ઊંચા શિખર પર ધ્વજારોહણ બાદ ભવનાથમાં આવેલ 3 મુખ્ય અખાડા ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ મેળાને ખુલ્લો મુકાયો છે. આ સાથે 250 જેટલા અલગ-અલગ સેવાકીય અન્નક્ષેત્રોમાં ધમધમાટ સાથે સંચાર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મનોરંજન માટે ચકરડી અને ચકડોળ જેવી રાઇડનો પણ યાત્રિકો લાભ ઉઠાવી રહ્યા છે. મેળો હોવાથી ભવનાથ મંદિર, દામોદર કુંડ, મુચકુંદ ગુફાને શણગાર્યા છે.
ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર દ્વારા શિવરાત્રી મેળાને લઈ ભાવિકો માટે સૌ પ્રથમ વાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતાં જ ભક્તોને પાર્કિંગ તેમજ આશ્રમો સહિતનાં તમામ લોકેશનની માહિતી મળી જશે.
પાંચ દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં દેશ અને દુનિયામાંથી ભક્તો આવતા હોય છે. આ તમામની સુરક્ષાની જાળવણીની સાથે મેળા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય કે અકસ્માતની ઘટના ન બને તે માટે જૂનાગઢ પોલીસે મેળાની સુરક્ષાને લઈને આયોજન કર્યુ છે. જેમાં જૂનાગઢ શહેરથી ભવનાથ તળેટી સુધીના વિસ્તારોને 5 અલગ અલગ ઝોનમાં વિભાજિત કરીને પોલીસ અધિકારી અને કર્મચારીઓની ડ્યૂટી ફાળવવામાં આવી છે.
આ પ્રત્યેક ઝોનમાં ડીવાયએસપીના સુપરવિઝન સાથે એસઆરપી જવાનો 24 કલાક મેળામાં આવતા પ્રવાસીઓની સુરક્ષાને સઘન બનાવશે. પોલીસ બોડી વાર્ન કેમેરા, વોકીટોકી, વાયરલેસ સેટ જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરીને મેળા અને ભવનાથ આવેલા યાત્રિકોની સુરક્ષા માટે કામગીરી કરશે. આ સિવાય મહિલા અને બાળકોને કોઈ પણ મુશ્કેલી ના પાડે અને મુશ્કેલીના સમયમાં તેને સુરક્ષા આપી શકાય તે માટે 10 જેટલી શી ટીમો પણ કાર્યરત કરવામાં આવશે. ભવનાથ વિસ્તારમાં લાગેલા સીસીટીવી સિવાય વધારાના 79 જેટલા કેમેરાઓ પણ લગાવવામાં આવશે. જેનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ભવનાથ પોલીસ સ્ટેશનમાં ઊભું કરવામાં આવ્યું છે.
પ્લાસ્ટિક પર પ્રતિબંધ
જુનાગઢ ગીરનાર અને ભવનાથ તળેટી સહિત આસપાસના ગામોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવા તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે. તંત્રએ શિવરાત્રિના મેળા દરમિયાન પણ પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગીરનાર પર્વત પર પર્યાવરણ સંરક્ષણ અને કચરાની સફાઇ મુદ્દે છેલ્લા કેટલાંક સમયથી વિવાદ ચાલતો હતો. આ સફાઈ અંગેનો વિવાદ અને પ્લાસ્ટિકનો મુદ્દો હાઇકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. ત્યારે હાઇકોર્ટની ફટકાર બાદ તંત્રએ પ્લાસ્ટિક પ્રતિબંધની કામગીરી કરી છે. તંત્રએ શ્રદ્ધાળુઓને પણ અપીલ કરી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. જો કોઇ વ્યક્તિ પાસે પ્લાસ્ટિક મળશે તો દંડનીય કાર્યવાહી કરાશે.
રાતે 9 વાગ્યે રવેડીની શરૂઆત થાય છે
આ મેળાનું મુખ્ય આકર્ષણ સાધુ-બાવાઓની રવેડી છે. દેશ-વિદેશમાંથી લોકો આ રવેડી જોવા માટે આવતા હોય છે. ભવનાથ તળેટીમાં રાતે 9 વાગતા રવેડીનું ભવનાથ મહાદેવ મંદિરેથી પ્રસ્થાન થાય છે. જે ફરીને રાતે 11.30 વાગતા પરત ભવનાથ મંદિરે પરત ફરે છે. આ રવેડીમાં જુદા-જુદા અખાડાના સાધુ-સંતો, દિગંબર સાધુઓ અને સાધ્વીઓ ભાગ લેતા હોય છે. આ રવેડીમાં નવ નાથ, ચોર્યાસી સિદ્ધ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને દત્રાત્રેય ભગવાન મનુષ્ય અવતાર ધારણ કરીને આવતા હોવાની માન્યતા પણ છે. ત્યારે સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે.
અનેક અખાડા બને છે આસ્થાનું કેન્દ્ર
આ રવેડીમાં જૂનાગઢમાં આવેલા અખાડાઓ જોડાતા હોય છે. તેમાં સૌથી આગળ પંચદશનામી અખાડાની ગુરુ દત્તાત્રેયની પાલખી હોય છે. ત્યારબાદ જૂના અખાડા આવે છે. તેના પછી આહ્વાન અખાડા અને અગ્નિ અખાડાના સાધુઓ આવે છે. બાકી રવેડીમાં દિગંબરી ન હોય તેવા દશનામી ગોસ્વામી સાધુઓ જોડાય છે. છેલ્લા ત્રણેક વર્ષથી આ રવેડીમાં કિન્નર અખાડાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ રવેડી જોવા માટે રસ્તાની બંને તરફ રેલિંગ બાંધવામાં આવે છે. જેથી સામાન્ય માણસો ધક્કામુક્કી કરે નહીં. બપોરના 2 વાગ્યા આસપાસ રેલિંગ બંધાવવાની શરૂઆત થઈ જાય છે અને માણસો જગ્યા લઈને બેસી જાય છે. ત્યારથી લઈને છેક રાતે રવેડી નીકળે ત્યાં સુધી લોકો ત્યાં રાહ જોઈને બેઠા હોય છે.
અશ્વત્થામા-ભરથરી આવતા હોવાની માન્યતા
આ રવેડીમાં જોડાતા તમામ અખાડા પાસે પોતાના અલગ-અલગ નિશાનવાળા ધ્વજાદંડ હોય છે. આ ધ્વજા અખાડાની શરૂઆતમાં રાખવામાં આવે છે. જેથી અખાડાની ઓળખ કરી શકાય. આ રવેડીમાં નાગાબાવાઓ વિવિધ કરતબો કરી લોકોને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે. જેમાં મુખ્યત્વે ભાલા, તલવાર, પટ્ટાબાજી અને લઠ્ઠબાજી કરતા જોવા મળે છે. લોકોમાં એવી પણ માન્યતા પ્રવર્તે છે કે, આ મેળામાં અમર આત્માઓ ગણાતા અશ્વત્થામા, રાજા ભરથરી, રાજા ગોપીચંદ પણ અચૂકપણે હાજર રહેતા હોય છે.
વિવિધ કરતબો કરી લોકોને મંત્રમુગ્ધ કરે છે
આ રવેડીમાં વિવિધ કરતબો દેખાડવામાં આવતા હોય છે. જેવી રીતે ગાડીને દોરડું બાંધી જનેન્દ્રિયથી ખેંચતા હોય છે. આ ઉપરાંત સાધુઓ જનેન્દ્રિયથી કોઈ વજનદાર વસ્તુ ઊંચકીને બતાવતા હોય છે. કોઈ સાધુ લિંગ પર લોખંડનો સળિયો રાખી તેની બંને બાજુ માણસને ઊભા રાખી હેરતંગેઝ કરતબ કરી બતાવતા હોય છે. કેટલાક સાધુઓ તલવારબાજી તો વળી કેટલાક સાધુઓ લઠ્ઠબાજી પણ કરતા જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક સાધુ પોતાની ઇન્દ્રિયને તલવાર કે લાકડીની ફરતે વિંટાળતા હોય છે. આમ, મંત્રમુગ્ધ કરી દે તેવા કરતબો બતાવતું સાધુઓનું સરઘસ તળેટીમાં જૂના અખાડા પાસેથી નીકળે છે અને ત્યારબાદ તળેટીમાં ફરીને ફરી ભવનાથ મહાદેવના મંદિરે પહોંચે છે.
શાહીસ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ
શિવરાત્રિની મધ્યરાતે 12 વાગ્યે સ્વયંભૂ ભવનાથ મહાદેવની દિવ્ય આરતી કરવામાં આવે છે. ત્યારબાદ વિધિવત્ રીતે મૃગીકુંડનું પૂજન કરવામાં આવે છે. સૌથી પહેલા મૃગીકુંડમાં દિગંબર સાધુ ડૂબકી લગાવે છે અને તે સાથે જ શાહી સ્નાનની શરૂઆત થાય છે. ત્યારબાદ એકબાદ એક અખાડાઓ મંદિરમાં આવે છે, મૃગીકુંડમાં સ્નાન કરે છે અને મહાદેવના દર્શન કરે છે. શાહીસ્નાન રવેડીનો અંતિમ પડાવ છે. શાહીસ્નાન પૂરું થતા જ ભવનાથ મેળાની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ તમામા સાધુ-સાધ્વીઓ પોતપોતાના સ્થાને પરત પહોંચી જાય છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube